મિત્રો ,આજ દશેરા .એક કાવ્ય મુકું છું .
રાવણની સ્વગતોકતિ.....
જયારે સાંભળુ છું કે મારા પગ પાણીના છે
હાથ માટીના છે છાતી વજ્રની છે ને
મસ્તક સોનાના છે
ત્યારે
મારું આખુંય શરીર ગુમાનથી
ટંકારી ઉઠે છે ધનુષ્યની જેમ
પણ ક્યારેક મધરાતે પૂર્વજન્મની સ્મૃતિ
જેવા કોઈ હાથમાં
ઉગેલા ઘાસની ગંધ મને વ્યાકુળ કરી જાય છે
ત્યારે મારી આંખ સામે ઉભરાય છે
હરણના હજાર હજાર ટોળાંઓ ને હું
એક વખત છુટા મુકેલા એ હરણને
પાછા બોલાવું છું પણ ...
ખાલીખાલી હાથને ખજવાળતો
જોયા કરું છું સ્થિર ઉભેલા એક હરણને
જે ક્યારેક સોનાનું હતું !
(તંદ્રામાંથી )