Translate

Wednesday 15 January 2014

ભાગ-૨ 
કવિતા અને હું ***મહેન્દ્ર જોષી ***શૂન્યમાંથી શબ્દ સર્જાવાની અકળ મથામણ 

    હાઈસ્કૂલના વધુ અભ્યાસ માટે રાજકોટ આવી વસ્યા .ગ્રામ્યજીવન રીતિનો બધો જ ઠાઠ અને સૌન્દર્યલોક પાછળ છૂટીગયો. શહેરનું કાલ્પનિક આકર્ષણ થોડા જ સમયમાં ઓસરતું ચાલ્યું .શહેરના અને હાઈસ્કૂલના અપરિચિત વાતાવરણથી સંકોચાઈ ગયો નગરની અને ઘરની સંકડાસ ભીતરમાં ભરાઈ આવી .નવા મિત્રો થવાને વાર હતી.શબ્દ્પ્રીતિ ને કારણે મારા અતડાપણા અને એકલતાએ શાળાના અને નગરના ગ્રંથાલયોમાં આશ્રય લેવા માંડ્યો. જોડકણા ,બાળવાર્તાઓ  અને કીશોરકથાઓ વંચાતી રહી .રાજકોટમાં જ્યુંબેલીબાગમાં આવેલી જૂની 'લેંગ લાઈબ્રેરી 'માં હારબંધ ગોઠવાયેલા કબાટોમાં રહેલા પુસ્તકો જોઈને રોમાંચ થાય. પહેલી વાર મનોમન પ્રશ્નો થયા શું હશે આ પુસ્તકમાં? કોણ હશે એના લેખક  કેમ અને કેવી રીતે લખ્યું  હશે ?કેવું હશે લેખકનું જીવન ??? આ જ પ્રશ્નો મને ભવિષ્યમાં શબ્દપ્રીતિ માંથી શબ્દ સર્જન પ્રતિ દોરી ગયા હશે . કોઈ તહેવારે મામાએ આપેલા પૈસામાંથી 'લેંગ લાઈબ્રેરી 'નું સભ્યપદ મેળવી લીધું .પાઠ્યપુસ્તકમાં આવતા સર્જક પરિચયમાંથી તેઓના લખાયેલા પુસ્તકોના ખાંખા ખોળાં ગ્રંથાલયના કબાટોમાં કરતો રહેતો.પુસ્તક મળી જાય ત્યારે મળતો આનંદ અનુપમ રહેતો.એક દિવસ કવિતાનો ખજાનો ખૂલી ગયો.તેમાં બિરાજતા હતા ગુજરાતી ભાષાના દિગજ્જ  કવિઓ !પણ એ સમયની ભાવદશા પ્રમાણે ગઝલકારોના સંગ્રહોમાંથી જેટલું ગમતું ગયું , વંચાતું ગયું ,ભીતરમાં રસ-રસાયણ બનતું રહ્યું.બે ત્રણ વર્ષમાં મારું બહિર વિશ્વ અને આંતરવિશ્વ બદલાતું ગયું.ક્યારેક રફ નોટમાં 
કોઈની પંક્તિઓ ઉપરથી શબ્દોની નકલ કરતો થયો....
      ૧૯૬૭ માં થોડા છંદો અભ્યાસક્રમમાં આવતા .મારા એક સહાધ્યાયી મિત્ર આનંદ મહેતાએ નોટમાં ચાર પંક્તિઓ વંચાવી.પછી કહે ,'કયો છંદ છે ,કહી દે' હું ઉત્સાહથી વાંચી ગયો , બંધારણ પ્રમાણે નહિ પણ અમારા ગુજરાતીના સાહેબ જેમ પઠન કરતા તેમ હું ગોઠવતો ગણગણતો રહ્યો.''હાં પસ્તાવી વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે 'તેમ કરતા ગોઠવાઈ ગયું. મેં કહ્યું ,'મંદાક્રાન્તા '....અમારી મુગ્ધ સાહિત્યિક મૈત્રી જામી ગઈ.કાચું પાકું લખી એકમેકને વંચાવી નિજાનંદમાં રહેતા....એસ.એસ.સી. ના વર્ષમાં શાળામાં યોજાયેલી સ્વરચિતકાવ્ય સ્પર્ધા માં ભાગ લીધો.કોણ જાણે ક્યાંથી તે લખતી વેળાએ મારા પિતાજીના અંધ ફૈબા સ્મરણમાં ઝબકી ગયા .ચાર પંક્તિઓ લખી તે આછી આછી સ્મરણમાં છે .
     સહુ ધારે પણ હું ના ધારું ,મલમલ જેવું છે અંધારું ..ઘરના ખૂણે જપ્તું જોયું રામનામનું એક જ અંધારું 
સોળ વર્ષની વયે સર્જાયેલ 'શબ્દ'ને સ્વીકૃતિ મળી.કવિ હોવાના કે બનવાના કોઈ મનોરથ ન હતા .કવિતા એટલે શું ? એના કોઈ ઉત્તર ન હતા પણ મારું ભીતર એકલું એકલું આનંદવર્ષામાં તરબતર રહેતું.
(ક્રમશ:)

No comments:

Post a Comment